ભગવાન શિવના મંદિરમાં નંદીની મૂર્તિ જરૂર હોય છે. શિવલિંગ ની પૂજા કરવાની સાથે જ નંદી ને પણ જળ અને દૂધ ચઢાવવામાં આવે છે. ઘણા લોકો નંદિનાં કાનમાં પોતાની મનોકામના બોલે છે. હકીકતમાં એવી માન્યતા છે કે નંદી ના કાનમાં બોલવામાં આવેલી ઈચ્છાઓ સીધી ભગવાન શિવ સુધી પહોંચી જાય છે અને ભગવાન શિવ તે ઈચ્છાને પૂરી કરી આપે છે. એટલા માટે જ્યારે પણ લોકો મંદિરમાં જાય છે તો શિવજીની પૂજા કરે છે અને સાથોસાથ નંદી ના કાનમાં પોતાની મનોકામના પણ જરૂર કહેતા હોય છે.
નંદી ના કાનમાં શા માટે કહેવામાં આવે છે મનોકામના
શિવ મંદિરમાં નંદી ભગવાનની મૂર્તિ જરૂર સ્થાપિત કરવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં પણ શિવનું મંદિર તો હોય છે, ત્યાં નંદી ભગવાનની મૂર્તિ અનિવાર્ય હોય છે. નંદી ભગવાનની મૂર્તિ વગર મંદિર અધુરૂં માનવામાં આવે છે. એટલું જ નહીં નંદીની મૂર્તિને હંમેશા શિવલીંગની સામે જ સ્થાપિત કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે અને હંમેશા શિવની સાથે રહે છે.
કૈલાસ પર્વત ઉપર પણ શિવજીની સાથે નંદી નિવાસ કરે છે. નંદી કૈલાશ પર્વતના પહેરેદાર છે. કથાઓ અનુસાર જે પણ કૈલાસ પર્વત પર શિવ ભગવાનને મળવા જાય છે, તેણે સૌથી પહેલા નંદી પાસેથી પરવાનગી લેવી પડતી હતી. નંદી ના માધ્યમથી જ શિવ સાથે મુલાકાત કરી શકાતી હતી. હકીકતમાં શિવજીની સમાધિ અને તપસ્યામાં કોઇ વિધ્ન ન આવે એટલા માટે નંદી હંમેશા ત્યાં પહેરેદારી કરતા હતા. શિવજીના સમાધિ અને તપસ્યા માં રહેવા દરમિયાન જે પણ સંદેશો તેમના માટે આવતો હતો, તે નંદી ને આપવામાં આવતો હતો, જેને નંદી ભગવાન શિવ સુધી પહોંચાડતા હતા.
એટલા માટે આજે પણ જે વાત શિવજી સુધી પહોંચાડવાની હોય તેને નંદી ને જણાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નંદી નાં કાનમાં બોલવામાં આવેલ દરેક મનોકામના, તે શિવજી સુધી પહોંચાડી આપે છે. એટલા માટે મંદિરમાં શિવજીની પૂજા કર્યા બાદ લોકો કાનમાં પોતાની મનોકામના કહે છે.
માનવામાં આવે છે શિવજીનો અવતાર
નંદીને શિવજીનો અવતાર પણ માનવામાં આવે છે. કથા અનુસાર શિલાદ નામના એક મુનિ હતા, જે બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થવાના ડરથી તેના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવા માટે કહ્યું. ત્યારબાદ શિલાદ મુનિએ ભગવાન શિવજીની તપસ્યા કરી અને તેમની પાસે અયોનિજ અને મૃત્યુંહીન પુત્ર માગ્યો. ભગવાન શિવે શિલાદ ને વરદાન આપ્યું.
વળી એક દિવસ શિલાદ મુનિ જ્યારે જમીન ખેડી રહ્યા હતા, ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે આ બાળકનું નામ નંદી રાખ્યું. વળી એક દિવસ બે મુનિએ નંદીને જણાવ્યું કે તે અલ્પાયુ છે. ત્યારબાદ નંદીએ મહાદેવની આરાધના કરી. ભગવાન શિવ પ્રસન્ન થઇને નંદી ને દર્શન આપ્યા અને નંદીને જણાવ્યું કે તે તેમના અંશ છે, એટલા માટે તેમણે મૃત્યુથી ડરવાની જરૂરિયાત નથી. નંદીએ મહાદેવને કહ્યું કે તેઓ તેને પોતાની સાથે રાખી લે, ત્યારે મહાદેવે નંદીને પોતાના ગણાધ્યક્ષ બનાવી લીધા અને નંદી સદાયને માટે તેમની સાથે રહેવા લાગ્યા.