સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવા પાછળનું એક મહત્વપૂર્ણ કારણ છે. COVID-19 એ એક વાયરસ છે જે મોટે ભાગે ફેફસાં પર હુમલો કરે છે. તે પ્રથમ આખા શરીરમાં નાક, મોં અને આંખો દ્વારા ફેલાય છે. એટલા માટે લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે વારંવાર પોતાનો ચહેરો સ્પર્શ ન કરો. કોરોના માત્ર ફેફસાં જ નહીં પરંતુ શરીરના ઘણા ભાગોને પણ ખરાબ અસર કરે છે.
તે એ વાત પર નિર્ભર કરે છે કે તમારું આરોગ્ય કેવું છે અને તમારું શરીર સંક્રમણ સાથે કેવી રીતે વર્તે છે. આ બધા સિવાય શરીરમાં કોરોના વાયરસના ખતરાને વધારવા માટે ઘણી વસ્તુઓ કામ કરે છે. ચાલો જાણીએ તે વસ્તુઓ શું છે.
તમારી ઉંમર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, યુરોપમાં કોવિડ-૧૯ને કારણે મૃત્યુ પામેલા ઓછામાં ઓછા ૯૫ ટકા લોકો ૬૦ વર્ષથી વધુ ઉંમરના હતા. ઇમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર નીલ ફર્ગ્યુસન કહે છે કે ૬૦ વર્ષની ઉંમરે ચેપ લાગનારા લોકોમાંથી ૪ ટકા લોકો મૃત્યુ પામે છે અને ૭૦ વર્ષમાં સંક્રમણથી મૃત્યુ પામેલા લોકો ૮.૬ ટકા છે. ઉંમર સાથે આરોગ્ય સમસ્યાઓ પણ વધે છે અને વાયરસ સામે લડવાની શરીરની ક્ષમતા નબળી પડી જાય છે.
જગ્યા
શરીર સિવાય સંક્રમણ ફેલાવું એ વાત પર નિર્ભર કરે છે કે તમે ક્યાં રહો છો. તમારું સ્થાન પણ એક મહત્વપૂર્ણ પરિબળ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, અમેરિકાનું ન્યુ યોર્ક સિટી કોરોનાનું વાયરસનું કેન્દ્ર બન્યું છે. સંક્રમણની શરૂઆતમાં, અહીંના રહેવાસીઓએ સરકારની સલાહ નહીં સાંભળી અને એક શહેરથી બીજા શહેરની મુસાફરી ચાલુ રાખી, જેના કારણે વાયરસ ઘણા નાના સ્થળોએ ફેલાયો.
ગંભીર સ્થૂળતા
અતિશય વજનમાં વધારો સરળતાથી સંક્રમણ તરફ દોરી જાય છે. ન્યુયોર્ક કરતા ન્યૂ ઓર્લિયન્સ અને સીએટલનાં લોકો વધુ સંક્રમિત મળી આવ્યા હતા. કેટલાક અધિકારીઓ કહે છે કે આ એટલા માટે છે કારણ કે ત્યાંના મોટાભાગના લોકો મેદસ્વી છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (સીડીસી)નું કહેવું છે કે જે વ્યક્તિઓનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) ૪૦ થી વધુ છે, તેમનામાં સંક્રમણનું જોખમ વધારે છે.
ડાયાબિટીસ
ડાયાબિટીઝના દર્દીઓમાં કોરોનો વાયરસનું ગંભીર જોખમ છે. અમેરિકન ડાયાબિટીઝ એસોસિએશન કહે છે કે, “જો તમે તમારા ડાયાબિટીસને યોગ્ય રીતે કંટ્રોલ કરેલ હોય તો તમને COVID-19 થી બીમાર થવાની સંભાવના ઓછી છે. પરંતુ ડાયાબિટીક કેટોએસિડોસિસવાળા દર્દીઓ આ સંક્રમણથી કોમામાં જઈ શકે છે અને મૃત્યુ પણ પામી શકે છે.
હાઇ બ્લડપ્રેશર અને હાઇપરટેન્શન
અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે કે જો તમારું બ્લડ પ્રેશર ૧૩૦/૮૦ થી ઉપર છે, તો પછી તમને COVID-19 ફેલાવાનું જોખમ વધારે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ચીનમાં કોરોનાથી મૃત્યુ પામેલા ૫.૬ ટકા લોકો એવા હતા જેમને હાઈ બ્લડ પ્રેશર હતું.
હ્રદયની સ્થિતિ
મિનીએપોલિસ વીએ. હેલ્થ કેર સિસ્ટમના મેડિસિનના સહયોગી પ્રોફેસર ઓર્લી વર્ડી કહે છે કે કોરોના વાયરસ ફેફસાંને વધારે અસર કરે છે, પરંતુ તે હૃદયને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે ધમનીઓની આસપાસ ફેટી ટીશ્યુ હોવા પર, વાયરસની અસર વધુ તીવ્ર બને છે, જે હાર્ટ એટેક, સોજો અથવા હૃદયની નિષ્ફળતા તરફ દોરી શકે છે.
જુની ફેફસાની બીમારી
કોરોના વાયરસ જે રીતે શરીર પર હુમલો કરે છે, તે ક્રોનિક અવરોધક પલ્મોનરી રોગ (સીઓપીડી) અને અસ્થમા જેવા ફેફસાના રોગ માટે વધુ જોખમી બને છે. ડબ્લ્યુએચઓ કહે છે કે તે ધૂમ્રપાન કરનારાઓ માટે પણ એક મોટું જોખમ છે.
કિડનીની બીમારી
કિડની રોગને કારણે ડાયાલિસિસ પર રહેતા લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી છે. જેના કારણે તેમનામાં કોરોના વાયરસ સરળતાથી ફેલાય છે. નેશનલ કિડની ફાઉન્ડેશનનું કહેવું છે કે ડાયાલિસિસ રોકી શકાતું નથી પરંતુ આવા લોકોને વધારાની સાવચેતી રાખવી જરૂરી છે. જેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે, તેઓએ આ સમયે ડોક્ટરની સલાહનું પાલન કરવું જોઈએ.