સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વમાં મોટા ભાગના દેશોમાં હજુ પણ લોકડાઉન ચાલી રહ્યું છે. અમુક દેશો હવે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે લોકડાઉન માં છૂટછાટ આપી રહ્યા છે. આ ભયાનક મહામારીએ લોકોને ઘણું નુકસાન પહોંચાડયું છે, પરંતુ તેની સાથોસાથ આ મહામારીએ લોકોને જીવન જીવતા પણ શીખવાડી દીધું છે. આધુનિક યુગમાં મોટાભાગના લોકોની જીવનશૈલી પણ ખૂબ જ આધુનિક બની ગઈ હતી. જેના લીધે ભારતીય લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા હતા.
કોઈપણ સંકટ આપણને કોઈ સારી બાબત જરૂર શીખવી જાય છે. જો આપણે તેમાંથી બોધપાઠ ન લઈએ તો તે આપણી સૌથી મોટી નબળાઇ કહેવાય. કોરોના વાયરસ મહામારી પણ આપણને ઘણું બધું શીખવી રહી છે, જે આપણે ભવિષ્યમાં પણ યાદ રાખવું જોઈએ. કોરોના વાયરસ મહામારીને કારણે લોકોને શું શીખવા મળ્યું તે અમે તમને અહીંયા જણાવીશું.

- સતત વ્યસ્ત રહેતા લોકોને પરિવાર સાથે સમય વિતાવતા શીખવાડ્યું.
- ઘર, સોસાયટી અને શહેરમાં સ્વચ્છતા લાવતા શીખવાડ્યું.
- બહારનું ખોરાક છોડીને ઘરનું ખાતા શીખવાડ્યું.
- વધારે પડતો કઠોળ ખાતા શીખવાડ્યું.
- આપણી ફરમાઈશ વગરનું ગરમ તથા સમયસર જમતા શીખવાડ્યું.
- નાના બાળકોને બહારનું જંકફૂડ આપવું જોઈએ નહીં એ પણ શીખવાડ્યું.
- મૃત્યુ બાદ કોઈપણ જાતના બેસણા અને ભોજન નહીં કરવાનું શીખવાડ્યું.
- સંતાનોને ઘરે શિક્ષણ આપતા શીખવાડ્યું.

- બાળકોને ઓનલાઇન શિક્ષણ લેતા શીખવાડ્યું.
- હંમેશા વ્યવસ્થિત રહેતા લોકોને ઈસ્ત્રી વગરના કપડા પહેરતા શીખવાડ્યું.
- પુરુષોને સલુનમાં ખોટો ખર્ચો કરતા અટકાવીને ઘરે શેવિંગ કરતાં શીખવાડયું.
- સૌથી અગત્યની બાબત એ છે કે લોકોને શારીરિક કસરત અને યોગ કરતા શીખવાડ્યું.
- પુરુષોએ પણ ઘરની સ્ત્રીઓને રસોઈમાં મદદ કરવી જોઈએ એવું પણ શીખવાડ્યું.
- દિકરાનાં વાળ ઘરે કાપતા પણ શીખવાડ્યું.
- આધુનિક યુગમાં સતત વ્યસ્ત રહેતા શરીરને માનસિક અને શારીરિક આરામ આપતા શીખવાડ્યું.
- ભગવાનના પૂજાપાઠ પણ દરરોજ ઘરે રહીને જ કરતા શીખવાડ્યું.
- ડોક્ટર, નર્સ પોલીસ અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરતા શીખવાડ્યું.

- પાન, બીડી, માવા, સિગરેટ વગેરે વ્યસન વગર પણ જીવી શકાય છે તે પણ શીખવાડ્યું.
- પોતાના જીવ અને શરીરની કિંમત પણ સમજાવી.
- અને આ બધામાં સૌથી મહત્વનું કે, ઓછી આવકમાં પણ ઘર ચલાવી શકાય છે તે પણ શીખવાડ્યું.
જો આ બધી બાબતો આપણે આપણા કાયમી જીવનમાં અનુસરણ કરીએ તો ચોક્કસથી સુખી થઈ શકાય છે. કોરોના વાયરસ કોઈ શ્રાપ નથી, પરંતુ સમજવામાં આવે તો એક બોધપાઠ છે. જેના દ્વારા કુદરત આપણને ઘણું બધું શીખવવા માટે આવી છે. તો આપણે પણ આ મહામારી માંથી બોધપાઠ લઈને જરૂરથી કંઈક શીખવું જોઈએ.